ભરૂચ નેશનલ હાઇવે પર માચ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારી યુવાનનું મોત નીપજ્યું હતું. સંખેડાના પરવેટા ગામે રહેતાં રતનસિંહ ચંદ્રસિંહ રાજપુતના ભરૂચ નેશનલ હાઇવે પર આવેલી ગ્રાન્ડ વાટિકા હોટલમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યાં હતાં. દરમિયાન રતનસિંહ કોઇ કામ અર્થે રસ્તો ઓળંગી રહ્યાં હતાં. તે સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમને ટક્કર મારી ભાગી છુટયો હતો.
ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે નબીપુર પોલીસ મથકે મૃતકના ભાઇ ફતેસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.