
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારના રોજ કલેકટરને આવેદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનિઓને બુરખો પહેરાવી આંતકવાદી બતાવ્યા હતા જેનો વિરોધ નોંધાવ્યો હતો.જ્યારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના પણ વખોડી યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ભાવનગરની કુંભારવાડા શાળામાં ૭૯મા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થિની ઓને બુરખા પહેરાવીને મશીનગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે.ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે. તેમનું માનવું છે કે આ નાટકથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ઉપસ્થિત જનસમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.જેથી સરકાર અને પોલીસ તંત્રને સ્કૂલના આચાર્ય તથા સંકળાયેલા શિક્ષકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાથે અમદાવાદના મણીનગર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંતાણીનું દુઃખદ મૃત્યુ થયાની ઘટનાએ સમાજમાં આક્રોશ ફેલાયો છે.આ ઘટના સામે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસે આ ઘટનામાં કડક પગલાં ભરે તેવી માંગણી કરી છે. તેઓએ કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જ જોઈએ.
સાથે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ ની સુરક્ષા સુનિશ્ચિત થાય, વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરકાયદેસર હથિયાર કે તિક્ષ્ણ વસ્તુ ન લઈ જઈ શકે તે માટે શૈક્ષણિક તંત્ર સખત માર્ગદર્શિકા અમલમાં લાવે તેવી પણ માંગ કરવામાં આવી છે.જ્યારે તાજેતરમાં બાલાશિનોરની એક શાળામાં પણ ધોરણ-૮ના વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચાકુથી હુમલો કર્યો હતો. જેથી આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી સમાજ તરફથી માગણી કરાઈ છે.