
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા બિઝનેસમેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં અને યુ.એસ.ડોલર મળી કુલ 30.28 લાખની વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા મકાન નંબર-840માં રહેતા વિપુલકુમાર કનૈયાલાલ કોઠારી ભરૂચ જી.આઈ.ડી.સી.માં આવેલી જી.ફેક્સીપેક કંપની ચલાવે છે. જેઓ ગત તારીખ-3 નવેમ્બરના રોજ પરિવાર સાથે બનારસ ખાતે ગયા હતા, દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
આ ચોરીમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં 7.25 લાખ તેમજ 1.66 લાખના યુએસ ડોલર મળી કુલ 30.28 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.