સુપર સન-ડે બોનાન્ઝામાં ભારત અને પાકિસ્તાનનો એશિયા કપનો મુકાબલો રોમાંચક બની રહેશે. ઉપખંડની બે સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે હાઈવોલ્ટેજ જંગ જામશે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો સામાન્ય રીતે પ્રતિકૂળ રાજકીય સંબંધોને લીધે દ્વિપક્ષીય શ્રેણી રમી શકતા નથી. જેને પગલે બન્ને ટીમોની શું રણનીતિ રહેશે તેનો ખ્યાલ રવિવારે રમાનાર મુકાબલામાં જ આવશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ટી20માં આક્રમક બેટિંગની રણનીતિ ધરાવે છે. જ્યારે બીજીતરફ આઈસીસી રેન્કિંગમાં ટોચનો ક્રમ ધરાવતા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાન ટીમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ભારત અને પાકિસ્તાનની ટીમો છેલ્લે 10 મહિના પૂર્વે ટી20 વર્લ્ડ કપમાં આમને-સામને થઈ હતી.
ભારતનો ટી20 વર્લ્ડ કપમાં નાલેશીભર્યો 10 વિકેટે પરાજય થયો હતો. ભારત હવે એશિયા કપમાં આ બદલો લેવા આતુર છે. ભારતના વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલી તેની 100મી ટી20 મેચ રમવા ઉતરશે. કોહલી તમામ ફોરમેટમાં 100 મેચ રમનાર ન્યૂઝીલેન્ડના રોસ ટેલર બાદ બીજો ખેલાડી બનશે. જ્યારે 100 ટી20 રમનાર તે 14મો ક્રિકેટર બનશે. વિરાટ કોહલી માટે ટી20 વર્લ્ડ કપ પૂર્વે પોતાનું ફોર્મ મેળવવા માટે એશિયા કપનું મંચ શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે.
- એજન્સી-દુબઈ