
ભગવાન શ્રીજી 10 દિવસનું આતિથ્ય માણવા આવી રહ્યા છે. અને ભરૂચ– અંકલેશ્વર સહિત વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમા બેસાડવાનું શરૂ થઇ ગયું છે. 2 વર્ષ બાદ ધામધુમથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે ગણેશ મંડળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં વિવિધ ગણેશ મંડળો મૂંઝવણમાં મુકાયા છે.
અંકલેશ્વર ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તેમજ પ.વ.ડી. વિભાગના અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામા આવ્યું અને વિનંતી કરવામાં આવી કે ભગવાન ગણેશ સહુના વિઘ્નો દૂર કરવા તો આવી રહ્યા છે. પરંતુ તેઓને સ્થાપિત કરવા માટે તેઓની મુર્તિ લઈ જવા માટે વચ્ચે કનડતા વિઘ્નો દૂર કરવામાં આવે અને માર્ગોની મરામત કરવામાં આવેની માંગ કરાઇ હતી.
એક તરફ જિલ્લાનું તંત્ર 91 કિમી જેટલા માર્ગો રીપેર કર્યા હોવાના દાવા કરી રહ્યું છે તો વરવી વાસ્તવિકતા શું છે તે આ રજૂઆત જ કહી કરી રહી છે.રજૂઆતમાં તેમણે પોતાની મૂંઝવણ રજૂ કરી છે કે ભગવાન શ્રીજીની પ્રતિમાને પોતાના પંડાલ સુધી કોઈ પણ અડચણ વગર લઈ કેવી રીતે જવી. કારણ કે હાલમાં જે માર્ગોની સ્થિતિ છે તે પ્રતિમાઓને ખંડિત થવા પર મજબૂર કરી દે છે. વરસાદના કારણે કહો કે ભ્રષ્ટાચારના કારણે લગભગ તમામ માર્ગોની સ્થિતિ ઉબડખાબડ બની છે. જેના કારણે વાહનચાલકોએ તો શું પગપાળા ચાલતા લોકોએ પણ ભોગ બનવું પડે છે.