આમોદ નગરપાલિકાની આજ રોજ પ્રમુખે બોલાવેલી સામાન્ય સભા અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખી હોવાની આમોદ પાલિકાના નોટીસ બોર્ડ ઉપર સૂચના મારી દીધી હતી. જોકે તે બાબતે તેમણે કોઈને પણ જાણ કર્યા વગર જ સામાન્ય સભા મુલતવી રાખતા પાલિકાના વિપક્ષી સદસ્યો આમોદ પાલિકામાં આવીને પરત જતાં રહ્યાં હતાં.
જેથી આમોદ પાલિકાના ભાજપના શાસકોથી વિપક્ષ ખફા બન્યો હતો અને આવનાર સમયમાં પાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આ બાબતે આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આમોદ પાલિકાના ભાજપના શાસનમાં લાઈટ,પાણી, ગટર વિગેરના પ્રશ્નો છે ત્યારે આમોદ પાલિકા દ્વારા નિયમિત રીતે સામાન્ય સભા પણ બોલાવવામાં આવતી નથી.જેથી વિકાસના કામો થતાં નથી ઠરાવની અમલવારી થતી નથી, એસ્ટીમેન્ટ બનતા નથી.જેથી આવનાર સમયમાં પાલિકાને વિપક્ષ દ્વારા તાળાબંધી કરવામાં આવશે જેની નગરજનોને પણ જાણ કરવામાં આવશે
આ બાબતે આમોદ પાલિકા પ્રમુખ મહેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે સભા અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખી હોવાનું જણાવ્યું હતું.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ