
- સરકાર દ્વારા તાકીદે કાયમી પાણી અપાય તેવી માંગ
ભરૂચ જિલ્લાના ધાર્મિક આસ્થાના પ્રતિક એવા મઠ મહેગામ ગામે ગ્રામજનોને છેલ્લા ૬ દિવસથી પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવ્યો છે.સરકારમાં તેમજ વડાપ્રધાન સુધી અનેક વાર રજૂઆતો છતાં નદી કિનારે આવેલ મહેગામ ગામને પાણી વિના તરફડવાનો વારો આવતા ગામની મહિલાઓએ આજે ગ્રામપંચાયત ખાતે માટલા સાથે હલ્લાબોલ કરી સરકાર દ્વારા કાયમી પાણી મળે તેવી તાકીદે વ્યવસ્થા કરાય તેવી માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યાનુસાર તેમના ગામમાં વર્ષોથી સરકાર દ્વારા પાણીની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમને રિલાયન્સ કંપની દ્વારા પાણી મળતું હતું. તે પણ છેલ્લા ૬ દિવસથી બંધ રહેતા મહિલા સહીતના ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે. છેક ૨ કિલોમીટર સુધી વયોવૃદ્ધ મહિલા સહીતનાઓએ માથે બેડા લઈ તળાવે પાણી ભરવા જવું પડે છે. આ મામલે ગ્રામપંચાયત સરપંચ દ્વારા પણ મુખ્ય મંત્રી,પ્રધાનમંત્રી સુધી તમામને ઓનલાઇન ફરીયાદો કરવામાં આવી છે. છતાં પાણીની સમસ્યાનો કોઇ કાયમી હલ ન થતા પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીએ સોંપાયેલ મિલ્કતોની માપણી જેવી કામગીરીનો પણ બહિષ્કાર કરતો એક પત્ર તાલુકા વિકાસ અધિકારીને પાઠવી તેમને કાયમી ધોરણે સરકાર દ્વારા પાણી પુરૂ પડાય તેવી માંગ કરાઇ છે.