
જેના દર્શન માત્રથી બહ્મહત્યાનું પાપ નિર્મૂળ થાય છે. જયાં બધા તીર્થોના પ્રભાવ તેમજ જયાં પ્રત્યેક કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે તથા જેના નામ ઉપરથી ‘શુકલતીર્થ’ ગામના નામનો જન્મ થયો છે. તે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી અગિયારસથી પુનમ સુધીની જાત્રા ભરાય છે. જેનું પૌરાણિક મહત્વ હોવાને કારણે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ મેળો મહાલવા ઉમટે છે.
શુક્લર્તીથ ગામે કાર્તિકી પૂર્ણિમાના ભાતીગળ મેળાનો શુક્રવારથી રંગેચંગે આરંભ થઇ ગયો છે. મેળાના પ્રથમ દિવસથી પ્રવાસીઓની મેળો મહાલવા અવરજવરનો પ્રારંભ થઈ ચુકયો છે. પ્રત્યેક કાર્તિકી પૂનમના દિવસે દૂરદૂરથી હજારો ભાવિક ભકતો નર્મદાના સ્નાન કરી આ શુકલેશ્વર મહાદેવનાં દર્શન કરી પવિત્ર બને છે.
સંસારના ભયને હરનારા અને સર્વ લોકોના એક જ નાથ એવા સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન યાને ૐકારેશ્વર (ઓમનાથ) ભગવાનની પ્રભાવશાળી વિષ્ણુ મુર્તિ અને ભવ્ય મંદિર શુકલતીર્થ ગામની મધ્યમાં આવેલું છે. પુરાણ પ્રસિધ્ધ રેવા પુરાણમાં (નર્મદાપુરાણમાં) ઓમકારેશ્વરનો પુરાણ ઇતિહાસ છે.કાર્તિક સુદ પૂર્ણિમા ૐ કારનાથ ભગવાનનો જન્મદિવસ છે. પ્રજાપતિ બ્રહ્માઓ, કામનાઓ પૂર્ણ કરે એવું શુકલતીર્થ ઉત્પન્ન કર્યું બ્રહ્માએ શુધ્ધ શુકલ ચિતે અને સાત્વીક ભાવે આ તીર્થ બનાવ્યું તેથી શુકલતીર્થ કહેવાયું, આ તીર્થ સુર સિધ્ધોથી સેવેલું સર્વ ધર્મમય ઋષિ સિધ્ધીઓઓ મુકેલ મુકિતબીજ છે પુરાણ પ્રસિધ્ધ રેવાખંડમાં ઓમકારનાથનો પુરાણો ઇતિહાસ વર્ણવેલો છે.
વિષ્ણુ ભગવાનની આ મંદિરમાં ભવ્ય મૂર્તિ ન તો કોઇ કારીગરે કોતરેલી કે ન બનાવડાવેલી પરંતુ ‘સ્વયં ભૂ’ એટલે કે પોતે સ્વયં વિષ્ણુ સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયેલા છે, અને તેથી આખી મૂર્તિ રેતીની બનેલી છે. નજરે જોનારને મૂર્તિ આરસના પથ્થરની બનેલી હોય એવી ઉડી છાપ આજે પણ એ મૂર્તિ તમામ દર્શનાર્થીને પાડી રહી છે. ૐકારનાથ વિષ્ણુ ભગવાન દિવસના સવારે બાલ્ય અવસ્થા, બપોરે યુવા અવસ્થા અને સાંજે વૃધ્ધા અવસ્થા એમ ત્રણ સ્વરૂપ ધારણ કરે છે. જેના દર્શનથી ભક્તો પવિત્ર થાય છે.