
ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી સમયમાં પણ હવામાન તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સાથે જ સરદાર સરોવરના ઉપરવાસમાં પડતા વરસાદમાં વધારો તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના વધારાના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર બંધનાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે.
આથી સરદાર સરોવર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેલી છે, આજે ગોલ્ડન બ્રીજ ખાતે સવારના ૧૧:૦૦ કલાકે નદી ભયજનક સપાટી (૨૫.૨૦ ફૂટ) પર વહી રહેલ છે.તેને અનુલક્ષીને કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે જિલ્લામાં ઉપસ્થિત થયેલી સ્થિતિનો ચિતાર આપતાં કલેક્ટર ગૌરાંગ મકવાણા એ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજ સવાર થી જિલ્લામાં કુલ ૧૩.૨૨ મીમી જેટલો વરસાદ વરસ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં સમગ્ર ભરુચ જિલ્લામાં સિઝનનો સરેરાશ ૮૧૪.૪૪ મીમી જેટલો વરસાદ પડ્યો છે.
સાથે જ ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજની પાણીની સપાટી વધવાની શક્યતાઓ સામે એના અસરગ્રસ્ત વિસ્તારોમાં અધિકારીઓ અને કર્મચારીઓ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સ્થિતિ અને સાવચેત રહેવા માટે સમજૂત કરવામાં આવી રહ્યા છે.
વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ સંજોગોમાં વ્યક્તિઓ /યાત્રીઓ નદીમાં ન જાય અને નદીના પટમાં માછીમારો માછીમારી કરવા ન જાય તેમજ સ્થળાંતર કરવાપાત્ર વ્યક્તિઓ અને ઢોર-ઢાંખરનું સ્થળાંતર કરવા વગેરે બાબતોની સુચના આપી દેવામાં આવી છે.
હવામાનખાતાની આગાહીને અનુલક્ષી આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલા અને સાવચેતી રાખવા સંદર્ભે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં ક્યાંય પણ વૃક્ષો ધરાશાયી થયા હોય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી અને રસ્તો ખૂલ્લો કરાવવામાં આવી રહ્યો છે. કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ માછીમારી માટે હવામાન સાનુકૂળ નથી. ભારે પવન ફૂંકાવાની શક્યતાં જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તેમજ દરિયામાં રહેલી તમામ બોટ્સને પણ તાત્કાલિક અસરથી પરત ફરવા જણાવવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલા ડેમની પરિસ્થિતિ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે નેત્રંગ તાલુકાના બલદવા, પીંગોટ ડેમ, ઝઘડીયા તાલુકાના ઢોલી વગેરે જેવાં ડેમોમાં પાણીની આવક વધતાં પૂર્ણ ભરાયા છે અને સાવચેતીના ભાગરૂપે હેઠવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ગત દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા કોઝવે પરથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી શકે છે. જેને ધ્યાને લઇ અને સલામતીના પગલાને અનુસરતાં નીચાણવાળા વિસ્તારમાં અને કૂતુહલવશ નદી-નાળા પાસે ન જવા અને નાગરિકને મુશ્કેલી કે સમસ્યા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર ત્વરિત જાણકારી આપવા કલેક્ટરે નાગરિકોને અનુરોધ કર્યો છે.