
ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વેપારીને ઈજા પહોંચતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે વેપારીએ પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં ભરૂચના સીંધુ નગર ખાતે રહેતા 27 વર્ષીય મોહિત ભોજવાની ધોળીકુઈ વિસ્તારમાં ખાદ્ય તેલનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ 28મી સપ્ટેમ્બરના રોજ મોબાઈલની ડિસ્પેની ખરીદી કરવા માટે અમરદીપ કોમ્પ્લેક્ષમાં ગયા હતા. તે વેળાએ બે અજાણ્યા ઈસમો તેઓ પાસે આવ્યાં હતા અને વેપારી કઈ સમજે તે પહેલા ચપ્પુ કાઢી વેપારીના શરીર ઉપર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. જે બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
જેમાં વેપારીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારી પર ગત તારીખ-31 ઓગસ્ટના રોજ પણ નર્મદા માર્કેટ ખાતે હુમલો કરાયો હતો. ત્યારે પોલીસ દ્વારા આવા ગંભીર ગુનામાં સઘન તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.