
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘૂસી આધેડ મહિલાને બાનમાં લઈ સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જોકે, લોકોએ તુરંત મહીલા ટોળકીને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી.
અંકલેશ્વરના રાજપીપલા રોડ સ્થિત મીરાનગર સોસાયટીમાં આજરોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં એક મકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ટોળકી ઘૂસી ગઈ હતી. જે બાદ આ ટોળકીએ આધેડ મહિલાને બાનમાં લઈ તિજોરી ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા 20 હજારની લૂંટ ચલાવી ટોળકી ફરાર થઈ ગઈ હતી.
આ લૂંટની ઘટનાને લઈ આધેડ મહિલાએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકોએ ફરાર થઈ રહેલી મહિલાઓની ટોળકીની શોધખોળ આદરી 7 મહિલાને ઝડપી પાડી હતી. જે બાદ ટોળકીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરી હતી. ઝડપાયેલ મહીલા ટોળકીની કડક પૂછપરછ હાથ ધરાઈ હતી. પરંતુ એવું જાણવા મળ્યું હતું કે, આ ટોળકીની અન્ય બે મહિલા સદસ્યો મુદ્દામાલ લઇ ફરાર થઇ ગઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.