ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવાનને દેવું વધી જતાં નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી. જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.
સુરતના શિવબંગલો, ગામ વેલન્ઝામાં રહેતા 42 વર્ષીય અલ્પેશ કથરોટિયા પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ માથે દેવું વધી જતાં જીવનથી કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. આ યુવક પોતાની બાઈક લઈને ગત રાત્રીના ભરૂચના સરદાર બ્રિજ પર આવી પહોંચ્યો હતો. અલ્પેશે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા નદીમાં પાણીનું વહેણ હોઈ અલ્પેશ ડૂબવાની સાથે પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો. નર્મદા નદીમાં તણાતા ગભરાઇ ગયેલ અલ્પેશે બચાવો બચાવોની બુમો પાડી હતી.
પરંતુ રાત્રીનો સમય હોય કોઈએ તેનો અવાજ સાંભળ્યો ન હતો બાદમાં આ યુવાન પાણીના વહેણમાં સરદાર બ્રિજથી તણાતો તણાતો છેક અંકલેશ્વર નજીક આવેલા ખાલપીયા નજીક ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરીના સ્થળે પહોંચ્યો હતો. આ સમયે તેણે હાથમાં લોખંડની એંગલ પકડી લેતા અને બુમો પાડતા બુલેટ ટ્રેનના બ્રિજ પર કામ કરતા માણસોએ એનો અવાજ સાંભળી દોડી આવ્યા હતાં. કામગીરી કરતા કામદારોએ તાત્કાલિક બ્રિજ પરથી હાઈડ્રા મશીનની મદદથી પ્લેટ ઉંચકી અલ્પેશને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
આ બનાવની જાણ સ્થાનિકોએ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા તેઓ પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી યુવાનને બચાવવા કામગીરી હાથધરી હતી અને રેશ્ક્યુ કરાયેલ આ યુવાનને 108 એમ્બ્યુલન્સને બોલાવી સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.