
હાલ લોકોમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. એવામાં પણ બે વર્ષ પછી નવરાત્રી થઈ હોવાને કારણે લોકો મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ગરબે રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હોય અને મોત થયુ હોય એવા બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ આવા જ વધુ એક બનાવના સમાચાર મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર વિરારમા મનીષભાઈ નરપજીબાઈ સોનગરા (35) નામના યુવાનનું ગરબા રમતા રમતા પડી જવાને કારણે મૃત્યુ નીપજ્યું હતું. ગરબા દરમિયાન નીચે પડી જતા મનીષભાઈને તાત્કાલિક પણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા મનીષભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મનીષભાઈને જયારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, તે દરમિયાન તેમના પિતા નરપજી સોનેગરા (66) પણ સાથે હતા. પછી જયારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે, મનીષભાઈનું મૃત્યુ નીપજ્યું છે. આ વાત સાંભળતાની સાથે જ તેઓને પણ આઘાત લાગ્યો હતો. આ આઘાત સહન ન કરી શકતા મનીષભાઈના પિતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આમ એક જ સાથે પિતા પુત્રના મોત થતા પરિવાર માથે આભ તૂટી પડ્યો હતો.