
ભરૂચ જિલ્લામાં ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ વચ્ચે હવે અત્યંત બિસ્માર માર્ગો ધૂળિયા બની ગયા છે.
ખરાબ રસ્તાથી કંટાળેલા લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકી રાખતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ છતાં ખરાબ રસ્તાનું નવીનીકરણ નહિ કરાતા આજે મંગળવારે સવારે કેવડિયા SOU જવાના માર્ગ ઉપર નાના સાંજા તેમજ ગોવાલી ગામના ગ્રામજનો ઉતરી પડ્યા હતા.
મુલદ ચોકડીથી ઝઘડિયા રાજપીપળા જતા માર્ગને ગોવાલી ગામ પાસે વાહનો અટકાવી દેવાયા હતા. સવારે 9 કલાકે મહિલાઓ સહિત લોકોએ બિસ્માર માર્ગ અને ઊડતી ધૂળને લઈ રસ્તા રોકો આંદોલન કરતા જોત જોતામાં બન્ને તરફ વાહનોની કતારો 3 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. એક કલાક સુધી વાહનો અટકાવી રાખ્યા બાદ પોલીસે દોડી આવી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી લોકોને રસ્તા પરથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.