
ઝઘડિયાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા, ઉચ્છદ સહિતના ગામોના લોકો માટે દર વર્ષે ચોમાસું હાલાકીની ભરમાર લઇને આવે છે. આ ગામોમાંથી મધુમતી ખાડી પસાર થાય છે અને ચોમાસામાં ખાડીમાં જળપ્રવાહ વધી જતાં લોકોને જીવના જોખમે ખાડી પાર કરી એક કાંઠેથી બીજા કાંઠા સુધી જવું પડે છે.
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી મધુમતી ખાડી પર રાજપરા ગામ પાસે નાળુ નહી બનાવવામાં આવતાં રાજપરા સહિતના 6 થી વધારે ગામના 5 હજાર લોકોને હાલાકી વેઠવી પડે છે. ખાડીના ધસમસતાં પ્રવાહમાંથી પસાર થઇ લોકો રાજપરાના સામે કાંઠે પહોંચી રહયાં છે. રાજપરા ગામ પાસે નાળુ બનાવવામાં આવતું નહિ હોવાના કારણે લોકોને ખાડીમાંથી પગપાળા પસાર થવું પડે છે. હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળી ડેમના પાણી ખાડીમાં આવી રહયાં હોવાથી જળસપાટી વધી છે.
રાજપરા સહિતના ગામના લોકો કેડસમાણા પાણીમાંથી દુધની કેનો લઇ સામે કિનારે આવેલાં હરીપુરા અને ઉચ્છદમાં દુધ આપવા જાય છે. રાજપરા અને આસપાસના સાત ગામના લોકોએ નાળુ નહી બનાવવામાં આવે તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે.