
ભારે વરસાદના પગલે ભરૂચ શહેર અને જિલ્લાની હાલત કફોડી બનવા સાથે ઠેર ઠેર હાઇવે સહિતના રોડ રસ્તાની હાલતના પગલે વાહન ચાલકો અને લોકોની હાલત દયનીય બનતા પાલિકાના ઉદાસીન વલણના કારણે આખરે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની ટીમ દ્વારા ખાડા પુરો અભિયાનની શરૂઆત કરી મુખ્ય માર્ગો પરના ખાડા જાતે જ પુર્યા હતા.
આમ આદમી પાર્ટીના હોદ્દેદારના કહેવા મુજબ પાલિકાને રૂપિયા ૧૬૩ કરોડની ગ્રાંટ આપી એમ કહેવાયું હતું કે લોકોની મુળભૂત અને માળખાકીય સુવિધાઓ પુરી પડાશે પરંતુ આમ કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. જો પહેલાજ વરસાદમાં પાલિકા દ્વારા બનવાયેલ રસ્તા ધોવાઇ જતા હોય તો આવી સરકાર પાસે બીજી શું આશા રાખી શકાય માટે જ આમ આદમી પાર્ટીના કાર્યકરોની ટીમ પ્રજાની સહુલીયત માટે જાતે જ પાલિકાના વિવિધ વિસ્તારોમાં ખાડા પુરો અભિયાન ચલાવી ખાડાઓ પુર્યા છે.