આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ચોમાસામાં વરસાદને કારણે બિસ્માર બનતા રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.દર વર્ષે આ રોડ ઉપર આવા એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જતાં વાહનચાલકો સાથે રાહદારીઓ અને મુસાફરો પણ પરેશાન બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૬૪ નું ૨૦૧૭-૧૮ માં સુરતની એજન્સીએ કામ લીધું હતું જેમાં આમોદ-નાહીયેર તેમજ સુડી-સમની સેકશનનું કામ ૧૩.૪૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. જે રોડ ઉપર કરોડોનો ખર્ચ કરવા છતાં દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદે જ રોડ ઉપર મસમોટા ખાડા પડી જાય છે.ભારદારી વાહનો હાલક દોલક થતાં પસાર થાય છે ત્યારે આમોદ ચોકડી ઉપર મુસાફરો પણ મોટી સંખ્યામાં બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોઇને ઉભા હોય છે ત્યારે હાલક ડોલક થઈને પસાર થતાં મોટા વાહનો અકસ્માતે પલટી મારે તો મુસાફરોનો પણ કચ્ચણઘાણ વળી જાય તેમ છે.જેથી હાઇવે ઓથોરિટી દ્વારા સત્વરે મસમોટા ખાડા પુરાવી રોડ સમથળ કરાવાઈ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.તેમજ રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોએ પણ હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭-૧૮ માં સુરતની એજન્સીએ બનાવેલો રોડ ગેરંટી પિરિયડ પહેલા જ ખખડધજ બની જતાં એજન્સી સામે સવાલો ઉભા થયા હતા.જે બાબતે આમોદ નગરના જાગૃત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદો કરવા છતાં હાઇ-વે ઓથોરિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતાં હાઇ-વે ઓથોરિટીના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ