રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદના એલર્ટ વચ્ચે મંગળવાર તા.૧૨/૦૭/૨૦૨૨ ના સવારે ૦૬:૦૦ કલાકે સુધીમાં વીતેલા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં નેત્રંગમાં ૧૧૧ એમ.એમ., વાલિયામાં ૯૨ એમ.એમ., ઝઘડિયામાં ૮૫ એમ.એમ.,ભરૂચ ૭૭ એમ.એમ., અંકલેશ્વર ૬૮ એમ.એમ., વાગરા ૫૩ એમ.એમ., હાંસોટમાં ૩૬ એમ.એમ., જ્યારે આમોદમાં ૩૫ એમ.એમ., અને જંબુસરમાં ૩૧ એમ.એમ વરસાદ નોંધાવા પામ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
સતત વરસાદથી જિલ્લાના માર્ગો વધુ ખખડધજ બની ગયા છે. માર્ગો ઉપર ખાડા ખાબોચિયાને લઈ વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મુખ્ય માર્ગોના સળિયા પણ બહાર આવી જતા કોન્ટ્રાક્ટ દ્વારા તકલાદી કામ કરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શનિવારે રાત્રી દરમિયાન ક્યારેક હળવા ઝાપટાં તો ક્યારેક ધોધમાર વરસેલા મેઘરાજાએ કેટલાય વિસ્તારો અને માર્ગોને પાણી પાણી કરી દીધા છે.