
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે તેમની SOU – એકતાનગરની દ્વિ-દિવસીય મુલાકાતના આજે પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન મંત્રી અમિતભાઇ શાહની સાથે જંગલ સફારીનાં નિયામક ડૉ. રામરતન નાલા સહિતનાં અધિકારીઓ વગેરે જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ડૉ.રામરતન નાલા પાસેથી વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૃચ્છા કરી હતી અને થઇ રહેલી કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓ ઇન્ડિયન બર્ડ એવિયરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે માહિતી આપી હતી. ઇન્ડીયન બર્ડ એવીયરીમાં ડુમખલ પોપટ સાથે હળવાશની પળો પણ તેઓએ માણી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની જંગલ સફારી પાર્કની મુલાકાત દરમિયાન આ સફારી પાર્કમાં રૂટિન મુલાકાત માટે આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ કે અવગડ ન પડે તે માટે સામાન્ય દિવસોની જેમ જ પ્રવાસીઓને કોઈપણ જાતના અવરોધ વિના પ્રવાસીઓની અવરજવર જારી રખાઈ હતી. જંગલ સફારી પાર્કની ઉક્ત મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહે પ્રોટોકોલ તોડીને મુલાકાતી પ્રવાસીઓ પાસે સામે ચાલીને પહોંચી ગયા હતા. અને તેમનુ અભિવાદન ઝીલીને પ્રવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુલાકાતી પ્રવાસીઓએ પણ ‘ભારત માતા કી જય’ ના બુલંદનારા સાથે મંત્રીનું સ્વાગત કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.