
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન પર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર, સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર રૂા.૧૩૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સુરતવાસીઓને ૧૧૭મા ફ્લાયઓવર બ્રિજની ભેટ મળી છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને શહેરી વિકાસ,શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સહારા દરવાજા પાસે અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા સાંસદ અને પ્રદેશ સંગઠન અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતના ચોમેર વિકાસની સાથોસાથ શ્રેણીબદ્ધ રિવર બ્રિજો, ફ્લાયઓવર બ્રિજો બનવાથી સમગ્ર સુરતનો વાહન વ્યવહાર સરળ-સુગમ બન્યો છે. બ્રિજના માર્ગમાં આવતી બાબાસાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓને સર્વ સંમતિથી સલામત સ્થળે ખસેડવામાં આવી હોવાનું પણ પાટિલે જણાવ્યું હતું.પાટીલે કહ્યું કે, શહેરીજનોની માંગ ઉઠે એ પહેલાં જ સુરત પાલિકા સુખસુવિધા આપી દેવાની આગવી કાર્ય પ્રણાલી ધરાવે છે. તેમણે આ બ્રિજ બનવાથી લાખો વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. ઉપરાંત, લોકોના સમય અને ઈંધણની પણ બચત થશે એમ પણ ઉમેર્યું હતું.
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરત મહાનગર પાલિકાને બ્રિજનિર્માણ કરી શહેરીજનોની સુવિધામાં વધારો કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત અને કેન્દ્રમાં ડબલ એન્જીનની સરકારના ડબલ ફાયદાઓ મળે છે તે સુરત શહેર પુરવાર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રાલય, કોર્પોરેશન અને કેન્દ્ર સરકારના સમન્વયથી સુરતનો સર્વાંગી અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે.સુરતના વિકાસમાં યશકલગી સમાન આ બ્રિજની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. જે સુરત માટે ગૌરવની ક્ષણ છે.આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, વી.ડી.ઝાલાવાડીયા, ઝંખનાબેન પટેલ, કાંતિભાઈ બલર, વિવેક પટેલ, ડે. મેયર દિનેશભાઈ જોધાણી, વિવિધ કમિટીના ચેરમેનો, કોર્પોરેટરો સહિત મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.