ભરૂચમાં જી.એન.એફ.સી. રેલવે ફાટક દહેજ બાયપાસ રોડ ઉપર પ્રથમ રેલવે ફ્લાય ઓવર બન્યો હતો. આ નંદેલાવ બ્રિજનો આજે એક ભાગ ધડકાભેર તૂટી પડતા 2 બાઇક, 1 એક્ટિવા અને 2 લારીઓનો ભુક્કો બોલી ગયો હતો. જોકે, મોટી દુર્ઘટના ટળી છે.
આશરે 22 વર્ષ પહેલાં બનેલો નંદેલાવ ROB છેલ્લા કેટલાક સમયથી જોખમી અને જર્જરીત બન્યો હતો. બ્રિજની ઉપરની રોડ સરફેસ ઉપર સળિયા પણ બહાર નીકળી જવા છતાં હતી તેના દ્વારા સમારકામ હાથ ન ધરાતા બ્રિજ ગમે ત્યારે મોટી હોનારત સર્જે તેવી સ્થિતિ બની રહી હતી. આ બ્રિજના પાયા પણ હલી જવાની હાલત સાથે એક તરફથી ઝુકવા લાગ્યા હતા. જેને ટકો આપી થોડા વર્ષો પહેલા મજબૂતી અપાઈ હતી.
જે બાદ ટ્રાફિકનું ભારણ દહેજ તરફ અને સિટીમાં વાહનોની સંખ્યા વધતા જુના નંદેલાવ બ્રિજની બાજુમાં નવો 2 લેન બ્રિજ બનવવામાં આવ્યો હતો. આજે મંગળવારે બપોરના સુમારે જુના નંદેલાવ બ્રિજનો ભરૂચ તરફનો નીચેનો મસમોટો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી.
ભરૂચ તરફનો નીચેના ભાગનો બ્રિજનો સ્લેબ પડતા નીચે રહેલી એક એક્ટિવા, 2 બાઇક અને 2 લારીનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, પ્રાંત અધિકારી, અન્ય પોલીસ અધિકારી, સરકારી અધિકારી, ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. વાહનચાલકો અને લોકોની ભારે ભીડનો બ્રિજ નજીક નીચે જમાવડો થઈ ગયો હતો. સલામતીના કારણો સર જૂનો જર્જરિત દુર્ઘટના ગ્રસ્ત બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવાની હિલચાલ તંત્રએ શરૂ કરી છે.