
અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલા તળાવમાં નહાવા પડેલા બે કિશોર ડૂબી જતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા સિલ્વર સિટીમાં રહેતા 15 વર્ષિય આકાશ રામ નિવાસ યાદવ અને 14 વર્ષિય અભિષેક પીન્ટુભાઈ ચૌહાણ ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલ તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન તળાવના ઊંડા પાણીમાં બંને કિશોરો ગરકાવ થઇ જતાં તેઓ ડૂબી ગયા હતા.
આ બનાવની જાણ અરૂણકુમાર ચૌહાણે તાલુકા પોલીસ મથકે કરતાં પોલીસે તરવૈયાઓની મદદ વડે તળાવમાં શોધખોળ કરતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.