રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ગરીબ બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવો ફરજિયાત છે. પણ જો કોઈ શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં આનાકાની કરશે કે વાલીઓને ધક્કા ખવડાવશે તો તે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. આ તાકીદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં RTE મામલે 70 હજારથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 હતી. જેમાં રાજ્યભરમાંથી 1.85 લાખ ફોર્મ ભરાયા છે. 9957 શાળાઓમાં 25 ટકા પ્રવેશ આરટીઇ હેઠળ ફળવાશે. જે મામલે 24 એપ્રીલના રોજ પ્રથમ મેરિટ જાહેર કરાશે. જોકે ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં સ્કૂલ સંચાલકો આનાકાની કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે, તેવી તાકીદ પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરાઈ છે. વાલીઓને પોતાના બાળકનું એડમિશન લેવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે હેલ્પલાઇન પણ ચાલી રહી છે. આ ઉપરાંત વાલીઓ પ્રવેશને લઈને જે કોઈ ફરિયાદ હશે તો તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કરી શકશે.
આ ઉપરાંત શાળાના સંચાલકોને પણ આદેશ કર્યા છે કે વાલીઓને પ્રવેશ માટે મનાઈ કરવી નહીં. જો કોઈ સંચાલક પ્રવેશ માટે ના પાડશે કે તેમને ધક્કા ખવડાવશે અને તે બાબતની ફરીયાદ મળશે તો પ્રથમ 10 હજાર નો દંડ, બીજીવાર 25 હજારનો દંડ અને ત્યારબાદ પણ પ્રવેશ માટે આનાકાની કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવી શકે છે.