
ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ નૃત્યકૃતિઓ સહિત સંગીતની સૂરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર-ભરૂચ દ્વારા આયોજીત 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ-2025નો ગત તા. 12 ફેબ્રુઆરીએ શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ઉત્સવની શરૂઆત ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય, ગરબા, ભક્તિ સંગીત, થીમ ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી નિરૂપિત ત્વિષા વ્યાસના ગૃપ દ્વારા શિવ તાંડવ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદેશની ધરતી સુઘી પ્રખ્યાત એવા સિદ્દી ધમાલ નૃત્ય, નવરંગ ગરબા ગૃપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય, કલા મંડળ-ચીંચલી દ્વારા પાવરી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ગુજરાત સહિત ભરૂચની યશ કલગીમાં મોરપીંછ સમાન ટોલીવુડથી બોલિવુડ સુધી પોતાના સૂરોથી ખ્યાતી પ્રાપ્ત કરનાર પ્લે-બેક સિંગર હિમાલી વ્યાસ અને તેમના કલાવૃંદે લોકસંગીતની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતીતિ કરાવી હતી. આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડીકલ ચેકઅપ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે અધિક નિવાસી જિલ્લા કલેકટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, શુક્લતીર્થ ગામના સરપંચ સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.