આમોદ સરભાણ રોડ ઉપર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલી ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.તેમજ નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
આમોદ સરભાણ રોડ ઉપર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલી ભીમપુરા માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચારી અધિકારીઓની પોલ ખોલી જવા પામી હતી. તેમજ ગાબડાંને કારણે નહેરનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું.અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.તો બીજી તરફ દલસુખભાઈ વસાવાના ૧૧ એકરના ખેતરમાં નહેરનું પાણી ફરી વળતા ઘઉંના પાકને નુકશાન થયું હતું.જેથી ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં આજ નહેરના કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં કપાસના પાકને નુકશાન થયું હતું.જેથી ખેડૂતે નુકશાન ભરપાઈ કરવા ૧૧ એકર ખેતરમાં શિયાળામાં ઘઉંનો પાક લીધો હતો પરંતુ જેવી વાવણી કરી કે નહેરમાં ગાબડું પડતા નહેરનું પાણી ઘઉંના ખેતરમાં ફરી વળ્યું હતું.જેથી ખેડૂતે બીજી વખત નુકશાન વેઠવું પડ્યું હતું.
- રીપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ