
ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતો માટે હવે ખરી દિવાળીનો માહોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસોથી શરૂ થયો છે.
ભારત માલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે માં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાથે રાખી ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિતે દિલ્હી દરબારમાં ચાર વખત ધામાં નાખ્યા હતા.
ભરૂચના સાંસદ, અંકલેશ્વર ધારાસભ્ય, જિલ્લા પ્રમુખે પ્રદેશ અધ્યક્ષ સાથે મળી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની વખતો વખત રૂબરૂ મુલાકાત લીધી હતી. જિલ્લાના એક્સપ્રેસ વે ના 1300 અસરગ્રસ્ત ખેડૂતોની NHAI સામે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત, નવસારી સહિતના પ્રમાણે જમીન સંપાદન વળતર ચૂકવવાની માંગણી પાછલા ચાર વર્ષથી ચાલી રહી હતી.
ખેડૂત સમન્વય સમિતિ અને જિલ્લા કિસાન સંઘના કાર્યકારી પ્રમુખ નિપુલ પટેલ સાથે જિલ્લા ભાજપ સંગઠને જિલ્લાના ખેડૂતોને તેઓની મહામૂલી જમીનનું યોગ્ય વળતર અપાવવા બાંહેધરી આપી રાજ્ય સરકારમાં પણ રૂબરૂ રજુઆત કરી હતી.ભાજપની ડબલ એન્જીન સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બીટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ 142 પ્રતિ ચોરસ મીટર થી વધારી રૂ.640 સોમવારે જાહેર કરવામાં આવ્યો છે.
જેને લઈ પુનગામના 34 ખેડૂતો માં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતનો આભર વ્યક્ત કર્યો હતો. પુનગામના ખેડૂતોને હવે એકરે રૂપિયા 1.67 કરોડ મળશે. ગામની કુલ 40.90 એકર જમીન સંપાદિત કરાઈ છે. સાથે જ જિલ્લા ભાજપ દ્વારા સૂચન પણ કરાયું છે કે આ એવોર્ડ સામે NHAI કોર્ટમાં ના જાય. અન્ય 31 ગામોના પણ આર્બીટ્રેશન એવોર્ડ હવે આવવા લાગતા ખેડૂતોમાં ડબલ એન્જીનની સરકારના જિલ્લા ભાજપના પ્રયાસોને લઈ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.