
ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા,વાસ્મો –(પાણી પુરવઠા) વિભાગના કર્મચારી-પાણીવીરો છેલ્લા એક માસથી તેમની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાસ્મોના કર્મચારીઓ-કર્મયોગીઓને -વાસ્મોની સ્થાપના સમયે વર્ષ 2002 થી જ તેમને ખરેખર મળવા પાત્ર હક્કો લાભ આપવામાં તેમનો વિભાગ તૈયાર ન હોવાથી ન છૂટકે આજે 20 વર્ષે 350 જેટલા કર્મચારીઓ-પાણીવીરો એ વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે.
કર્મચારીઓના હિત માટે વાસ્મો વિભાગ દ્વારા બનાવેલ “વાસ્મો સર્વિસ મેન્યુઅલ-2002”નો અમલ કરવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. આ સર્વિસ મેન્યુઅલમાં કર્મચારીઓના પગાર ધોરણ,હોદ્દા અપગ્રેડેશન, પીએફ, ગ્રેજ્યુએટી જેવા લાભો આપવાની વાત હતી. જે આજે 20 વર્ષે પણ હવામાં જ રહી ગઈ છે.
આ ઉપરાંત કર્મચારીઓને છેલ્લા ત્રણથી વર્ષોથી પગાર વધારો સ્થગિત કર્યો હોય, આ મુદ્દો કર્મચારીઓના વિરોધનું મુખ્ય કારણ બન્યો છે.આ બાબતે કર્મચારીઓ દ્વારા જિલ્લાના સ્થાનિક હોદ્દેદારોથી લઈ ધારાસભ્યઓ, સંસદસભ્યઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી સુધી તેમની રજૂઆતો/ભલામણો કરવામાં આવી છે, પરંતુ દરેક જગ્યાએથી માત્ર સાંત્વના જ મળેલ હોય કોઈ નક્કર ખાતરી આપી કે માંગણી સ્વીકારવામાં આવેલ નથી.
કર્મચારીઓ દ્વારા વિભાગ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી, પેન ડાઉન કાર્યક્રમ આપ્યો,માસ સી.એલ. પર રહ્યા ત્યારબાદ છેલ્લા ૨૦ દિવસથી કચેરીના કામથી અચોક્કસ મુદત સુધી અળગા રહ્યા હોવા છતાં હજુ સુધી કોઈ નિવેડો આવેલ ન હોય,કર્મચારીઓ 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતી થી લડત આગળ ધપાવવા અને વધુ આક્રમક પગલાંઓ જેવા કે કચેરીનો ઘેરાવ કરવો, ધરણા કરવા જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
ગુજરાત સરકારના આયોજન મુજબ “નલ સે જલ” ની કામગીરી વાસ્મો ના પાણીવિરો દ્વારા 98% પૂર્ણ કરવામાં આવેલ છે, પરંતુ હાલ વાસ્મો નાં કર્મચારીઓ પાણીવીરો નજીવી માઞ માટે હડતાલ પર ગયેલ હોયશું મુખ્યમંત્રી એમના કાર્યકાળ દરમિયાન ગુજરાતને ૧૦૦% નળ જોડાણ ધરાવતા રાજયની ઘોષણા થી દૂર રહી જશે?