સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને ડૉ. કિરણ પટેલ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને અંગદાન એ મહાદાનની ભાવનાને ચરિતાર્થ કરતા અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થતિ રહી હતી.

આ કાર્યક્રમમાં જેમણે અંગદાન કર્યું હોય તેવા પરિવારજનોને ખાસ આમંત્રિત કરી તેમનું પ્રશસ્તિ પત્ર આપીને તેમની ઉમદા સેવાને બિરદાવવામાં આવી હતી. સ્વજન ગુમાવવાના ઘેરા શોકની ક્ષણોમાં પણ અન્ય લોકોને નવજીવન આપવા માટે દાખવેલી અપ્રતિમ હિંમત અને ઉદારતા બદલ સમગ્ર તંત્રે પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચક્ષુદાન, અંગદાન, દેહદાન ક્ષેત્રે કામ કરતી સામાજિક સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશનની કામગીરીને પ્રશસ્તિ આપીને બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ જણાવ્યું હતું કે, અંગદાન એ માનવતાની સર્વોચ્ચ સેવા છે. ભરૂચના આ દાનવીર પરિવારોનું યોગદાન સમાજના અન્ય લોકો માટે સદા પ્રેરણાસ્રોત બની રહેશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સહુ કોઈએ અંગદાન પ્રવૃત્તિને વેગ આપવા અને આ ઉમદા કાર્ય અંગે સમાજમાં વધુ જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે, સામજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, જિલ્લા આરોગ્ય અધિકારી, અન્ય આરોગ્ય વિભાગના કર્મચારીઓ, જેને દેહદાન કર્યું તેમના પરિવાર જનો ઉપસ્થિતિ રહ્યા હતા.

